શનિવાર, 28 નવેમ્બર, 2009

તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે -ખલીલ ધનતેજવી

તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,
અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.

કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું,
પરંતુ છીછરું ખાબોચિયું, આપણને નહીં ફાવે.

તું નહીં આવે તો એ ના આવવું પણ ફાવશે અમને,
ઘરે આવી, તારું પાછું જવું, આપણને નહીં ફાવે.

વફાદારીની આ ધગધગતી તાપણીઓ બુઝાવી દો,
સળગતું દિલ, દઝાતું કાળજું આપણને નહીં ફાવે.

તને ચાહું, ને તારા ચાહનારાઓને પણ ચાહું?
તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવે.

તમાચો ખાઈ લઉ ગાંધીગીરીના નામ પર હું પણ,
પણ આ પત્નીને બા સંબોધવું, આપણને નહીં ફાવે.

ખલિલ, અણગમતાને ગમતો કરી લેવું નથી ગમતું,
ભલે તમને બધાને ફાવતું, આપણને નહીં ફાવે.

-ખલીલ ધનતેજવી

1 ટિપ્પણી:

  1. Nirav Balani:

    wah wah nileshbhai... tension na leso, aapda prerakbhai chhe ne.... mailchain banavi dese pachhi... tame manko parovyao e j ganu chhe....

    kharekhar... manko to appo dau chhu, pan aatli moti mail chain maitain karta mane nahi fave.... :)

    જવાબ આપોકાઢી નાખો